નોંધ: પ્રસ્તુત અભ્યાસ લેખ 'શબ્દસૃષ્ટિ' સામયિકમાં પ્રકાશિત થયેલ છે. આમાંની કોઈપણ વિગતોનો ઉપયોગ નીચે પ્રમાણેનો સંદર્ભ આપીને જ કરવો. અન્યથા તે Plagiarism (સાહિત્યિક ચોરી) ગણાશે.
સંદર્ભ: રાજ્યગુરુ, ધવલ. 'ગ્રંથાવલોકન - સીતા: સ્વીકાર અને ત્યાગની કથા' . શબ્દસૃષ્ટિ : ફેબ્રુઆરી, ૨૦૨૫. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
ગ્રંથાવલોકન - ‘સીતા: સ્વીકાર
અને ત્યાગની કથા’
‘સીતા: સ્વીકાર અને ત્યાગની કથા’
નવલકથા એ સ્વાતિબેન
શાહનું પ્રથમ સર્જનાત્મક
પુસ્તક છે, જેની પ્રસ્તાવનામાં
જ ડૉ. યોગેન્દ્ર
પારેખે તેને ‘સીતાની
સ્વાયત્તતાનું અસ્મિતાપર્વ’ કહી વધાવી લીધી છે. અતિખ્યાત કથાનક એવા રામાયણ
મહાકાવ્યમાંના સીતાના પાત્રને
કેન્દ્રસ્થાને મૂકીને કહેવાયેલી
કથા એટલે આ નવલકથા.
અહી વાર્તાનું કથનકેન્દ્ર
સીતા પ્રથમ સ્ત્રી
એકવચન તરીકે રખાયું
છે. લેખિકા સ્વયં કહે છે તેમ- “આખીયે
કથા ફરીથી જોવાની
ઈચ્છા થઇ અને સીતા રચાઈ.”
સ્વીકાર અને ત્યાગની
કથા સીતાના મુખેથી
જ સંભળાવવી એ આશયથી લેખિકા
આપણી સમક્ષ આ નવલકથા પીરસી આપે છે.
હાલમાં ખૂબ પ્રચલિત
એવું Behind
the Scenes એટલે કે પડદા પાછળનું કે જેના પર ભાવક-દર્શકની નજર પડી ન હોય, તેને ઉજાગર કરવાની
પ્રયુક્તિ આ નવલકથામાં
વાપરી છે. વાલ્મિકી
રામાયણ એ રામના જીવનની કથા છે, જેના કેન્દ્રમાં રામ છે. તે કથામાંથી Out of the Box Thinking એટલે કે નવી વિચારસરણીથી
સીતાના પાત્રને દૃષ્ટિબિંદુએ
રાખીને લેખિકાએ આ કથા રચી છે. આમ તો સીતાના
કેન્દ્રસ્થાનેથી ઘણા લેખકોએ
કથા નિરૂપવાના પ્રયાસો
કર્યા. પણ અહી કથાનિરૂપણમાં લેખિકા
સ્વતંત્ર રીતે, છતાં વાલ્મિકી રામાયણને
વફાદાર રહ્યાં છે. જેની સ્પષ્ટતા
લેખિકાએ પ્રસ્તાવનામાં જ કરી દીધી છે. જો કે, સ્વયંવરની અને લક્ષ્મણરેખાની ઘટનામાં
તેમણે થોડી છૂટ લીધી હોય તેવું વર્તાય
છે.
આમ તો આ કથા માત્ર એક રાત્રીની
જ છે તેમ કહી શકાય. પરંતુ આ એક રાત્રી
સીતા માટે તેના પૂર્વજીવનની ઝાંખી (ફ્લેશબેક) દર્શાવતી,
તેના સુખ-દુઃખના અનુભવો
તેમજ સારા-નરસા પ્રસંગોને
સંભારતી અંતિમ રાત્રી
છે. આ વાતની જાણ કદાચ મહર્ષિ વાલ્મિકીને
પણ નહિ હોય એવું જાણાય છે. આથી જ તો કદાચ અંતિમ રાત્રીના પ્રથમ પ્રહરે મળવા ગયેલી સીતાને
તેમણે ‘દીર્ઘાયુ ભવ’ના આશીર્વાદ આપ્યા હશે. અતિખ્યાત
કથા હોવાના લીધે આ વાત કદાચ આપણને સૌને જ્ઞાત છે. માટે અહી કથામાં
રહસ્યનિરૂપણ પર ભાર આપવાને બદલે લેખિકાએ એક આગવી શૈલીથી
કથા અને તેમાં સીતાના ચરિત્રના
નિરૂપણમાં વધુ ધ્યાન આપ્યું જણાય છે.
ડૉ. યોગેન્દ્ર પારેખ નોંધે છે તેમ -“સીતાનો
પક્ષ લેવાના પક્ષપાતી
વલણનું એકાંગી દર્શન આ વ્યથા-કથામાં
નથી.” અહી સીતાને
કે સીતાના દૃષ્ટિકોણને
જ સાચો ઠેરાવવાની
જીદ પણ નથી. તેથી જ તો અમુક પ્રસંગોમાં સીતાના
મંતવ્યોને સીતાના જ વિચારો દ્વારા
કે આસપાસના પાત્રો
દ્વારા યોગ્ય દિશાએ વાળવાનો પ્રયત્ન
થયો છે. તો ઘણી જગ્યાએ
સીતાના અંતરાત્માના અવાજને
પણ લેખિકાએ પ્રમાણિકતાથી
વાચા આપી છે. તેની માન્યતાઓને
પૂરો અવકાશ આપ્યો છે.
નવલકથામાં રામાયણના સીતાથી
સંકળાયેલા લગભગ તમામ પ્રસંગોને યાદ કરી લેવામાં
આવ્યા છે. કોઈ-કોઈ
પ્રસંગને ટૂંકમાં તો કોઈ-કોઈ પ્રસંગને
વિસ્તારપૂર્વક આલેખ્યા છે. આવા પ્રસંગોમાં
સીતાના માનવસહજ સ્વભાવ,
ગુણો અને લાગણીઓ
પણ લેખિકાએ ટાંક્યા
છે.
જેમ કે,
૧) બાળપણમાં પિતાજી
પાસેથી કથાઓ સાંભળી, તેના પર ચિંતન કરવું અને તેમાંથી
યોગ્ય-અયોગ્યનું મૂલ્યાંકન કરવું .– જિજ્ઞાસાવૃત્તિ અને મનોમંથન (પે.૮)
૨) લગ્નબાદનું પ્રથમ વખતનું અયોધ્યાદર્શનનું વર્ણન તેમની અવલોકનવૃત્તિ દર્શાવે
છે. (પે.૧૦)
૩) પોતાના ‘વીર્યશુલ્કા’ હોવાનો
મનોમન વિરોધ કરતી સીતા પોતાના
પિતા અને કુલગુરુના
સ્વયંવરનું આયોજન કરવાના
નિર્ણયને વડીલોની આજ્ઞા સમજી પાલન કરે છે- આમ તે એક આજ્ઞાકારી છે. (પે.૧૮)
૪) પરાક્રમથી જ જીતી કે પામી શકાય એવી વીર્યશુલ્કા
હોવું એ સીતાને
અકળાવે છે; છતાં પિતાજીએ વિશ્વામિત્રના
બે શિષ્યોનાં પરાક્રમના
વર્ણનથી તે પ્રભાવિત
થાય છે. રામને જોઇને સીતાનાં
મનમાં સ્નેહ ઉત્પન્ન
થાય છે. (પે.૨૩)
૫) સ્વયંવરમાં રામ જ જીતે એવી અંતરની
ઈચ્છા રાખનાર સીતા મનોમન ‘રામભદ્ર
પોતાનું પરાક્રમ સિદ્ધ કરવા કેમ ન આવ્યા? એમને મારું પાણિગ્રહણ કરવાની
ઈચ્છા નહિ હોય? શું મને જ એમના માટે એષણા જાગી હતી?’ જેવા સવાલોથી
અકળાઈ ઉઠે છે.- આમ, પ્રિય
પાત્ર પાસેથી પરાક્રમની
અને સમલાગણીની (હમદીલીની)
અપેક્ષા. (પે.૩૯)
-આ સિવાય સીતાના
સ્વાભિમાન (પે.૮૦), પ્રકૃતિપ્રેમ (પે.૯૮),
વનસ્પતિશાસ્ત્રજ્ઞ (પે.૯૮), નીડર (પે.૧૩૪), આત્મનિર્ભરતા
અને સ્વનિર્ણયાત્મકતાનું સ્વાતંત્ર્ય
ભોગવવાની માનસિકતા (પે.૧૪૧), વગેરે જેવા કેટલાયે
ગુણો લેખિકાએ ખૂબ નિરાંતે અને ચિવટપૂર્વક કંડાર્યા
છે.
લેખિકા સીતાના
માધ્યમથી જે-તે સમયની રૂઢિ, સ્ત્રીઓની
ઉપેક્ષા અને સામાજિક
અસમાનતા જેવી નાનામાં
નાની વિગતો વિશે પ્રયુક્તિપૂર્વક ઈંગિત કરે છે, જેના વિશે ભાવકે ભાગ્યે
જ વિચાર્યું હોય. જેમ કે, ‘વીર્યશુલ્કા’ શબ્દનો
વારંવાર પ્રયોગ થયેલો જોવા મળે છે, જે આવી શરતી સ્વયંવર પ્રથાનો
ભારોભાર વિરોધ છે. તેમજ
‘સીતા સ્વસ્થ હોય કે નહિ પણ તોયે લોકો સમક્ષ તો સ્વસ્થ
જ દેખાવું પડે છે’, ‘સ્વયંવરના
પરિણામ અંગે સીતાનાં
કે કોઈના વાંધા-વિરોધ
કે પરિવર્તનને કોઈ અવકાશ નથી’, ‘છમાંથી એકપણની
સંતાનનો અભિપ્રાય લેવાયો
નહિ’, ‘કૌશલ્યાને પણ મહારાણીપદ બે સ્ત્રીઓ સાથે વહેંચવું પડ્યું
હતું.’ અને ‘...મારે
સખીઓ હોય છે, દાસીઓ નહિ.‘ -જેવા સ્ત્રીઓની
થતી ઉપેક્ષા અને રૂઢિગત વિચારોને
વાચા આપી છે. તો ‘રામે
શબરીનાં
એઠાં બોર ખાધા, માતા અહલ્યાને
ગૌરવ-પ્રદાન કર્યું; તો લક્ષ્મણે ચૌદ-ચૌદ
વર્ષ ઉર્મિલા વિના કાઢ્યા એ બાબતોમાં લોકોપવાદ
કેમ ઉત્પન્ન ન થયો કે કોઈએ અગ્નિપરીક્ષા
ના કરી?’
- જેવા આરોપોથી
સ્ત્રી અને પુરુષો
માટેના અસમાન કાયદાને
સીતાએ પડકાર્યા છે, તો સાથે-સાથે
સમાજરચના અને તેની જરૂરિયાત અંગે પણ તેઓ ખૂલીને ચર્ચા કરે છે. તો ક્યારેક
‘પ્રત્યેક સ્ત્રી સ્નેહથી
આધીન બને છે, તેની આધીનતાને
અસુરક્ષાની ભાવના સાથે જોડવાની ભૂલ ન કરવી’, ‘ગુણનો અતિરેક
પણ દોષ બની જાય.’ અને ‘સૌન્દર્ય અને પ્રતિષ્ઠાના નામે આપણે કેટલો ભાર વહન કરીએ છીએ.’-
જેવા તેના અંગત અભિપ્રાયોથી ભાવકને ગહન ચિંતન કરવા મજબૂર કરી દે છે.
અસમંજસભરી એ રાત્રીના અંતે સવારે અયોધ્યામાં
પોતાની પવિત્રતા સિદ્ધ કરવા જતી વેળાએ સીતાના
વિચારો સ્થિર થાય છે. તેને બધું જ સ્પષ્ટપણે સમજાવા
લાગે છે. પરાક્રમથી
જીતી લાવેલી સીતાનો
ત્યાગ એ પણ પોતાના નિષ્કલંક
કુળની રીતિની મર્યાદાઓના
રક્ષણ માટે રામભદ્રનું
વધુ એક પરાક્રમ
જ હતું. રાજધર્મ
નિભાવવાના હેતુથી ત્યજાયેલી
સીતાના પોતાના મંતવ્યોનું
કોઈ સ્થાન ન હતું. તે ભલે અયોધ્યાની
મહારાણી હોય, છતાં તે માત્ર આદેશપાલનની જ અધિકારિણી હતી. અંતે ‘આમ પણ રાજકાર્યમાં
એમની સાથે હંમેશા
પ્રતિમા જ રહી છે ને! સજીવ કે સુવર્ણ, શું ફેર પડે છે!’ એમ ઉપહાસભર્યો વિચાર કરીને તે જાણે પોતાનો
નિર્ણય આડકતરી રીતે સ્પષ્ટ કરી દે છે. અંતે પોતે પોતાની પવિત્રતા
સિદ્ધ કરવા માટે માતા પૃથ્વીનું
આહ્વાન કરી પોતાના
પ્રાણ ત્યાગે છે.
એક
જ દિવસમાં કહો કે, એક જ બેઠકમાં
વંચાઈ જાય તેવું આ પુસ્તક
૧૭૨ પૃષ્ઠો ધરાવે છે. સમગ્ર કથામાં સ્વીકાર
અને ત્યાગ આ બે તત્વોનો
જ મહિમા ગવાયો છે. યજ્ઞભૂમિ
ખેડતાં પ્રાપ્ત થયેલી બાળકીને રાજા જનકે પોતાની
કુંવરી તરીકે સ્વીકારી.
પોતાનું વીર્યશુલ્કા હોવું એ ક-મને પણ સીતાએ વડીલોની આજ્ઞા સમજીને સ્વીકાર્યું.
લગ્નબાદ સીતાને પોતાના
પિતૃગૃહનો ત્યાગ કરવો પડ્યો. રાજ્યાભિષેક
થવાના દિવસે પ્રાત:કાળે
જ પિતાજીના આદેશ મુજબ ચૌદ વર્ષના વનવાસનો
સ્વીકાર અને રાજ્યનો
ત્યાગ કર્યો. રામને પરત લઇ જવામાં નિષ્ફળ
થયેલ ભરત રાજ્યની
જવાબદારી સ્વીકારે છે, પરંતુ એ પણ ચૌદ વર્ષ બધા જ સુખોનો
ત્યાગ કરીને નંદીગ્રામમાં
વનવાસીની જેમ રહે છે. યુદ્ધમાં
રાવણને માર્યાબાદ અગ્નિપરીક્ષા
લઇ સીતાની પવિત્રતા
તપાસીને જ રામભદ્રે
તેમનો સ્વીકાર કર્યો,
પરંતુ તેમ છતાં પોતાની પ્રજાના
મનમાં ઉત્પન્ન થયેલી શંકાઓના લીધે સીતાનો ત્યાગ કર્યો. વર્ષોબાદ
લવ-કુશના કંઠે રામાયણ
સાંભળીને રામ સીતાનો
પુનઃસ્વીકાર કરવા તૈયાર થયા છે પણ જો સીતા પોતાની
પવિત્રતા પુનઃસિદ્ધ કરે તો ! – ફરી એક વખત સીતા પોતાની
પવિત્રતા સિદ્ધ કરી બતાવે છે, એ પણ પોતાના અસ્તિત્વનો
જ ત્યાગ કરીને. સ્વીકાર અને ત્યાગના આવા દ્વંદ્વ વચ્ચે પિસાતી સીતાની
આ કથા આજે પણ આટલી પ્રસ્તુત બની રહે તેમ રજૂ થઇ છે.
[‘સીતા: સ્વીકાર અને ત્યાગની કથા’ : લેખિકા: ડૉ. સ્વાતિ શાહ, સાર્થક પ્રકાશન, અમદાવાદ, પ્ર.આ.૨૦૨૩, પૃ.૧૭૨, કિં. રૂ. ૨૦૦]
સંદર્ભ:
શાહ સ્વાતિ, સીતા:
સ્વીકાર અને ત્યાગની
કથા, સાર્થક પ્રકાશન, ૨૦૨૩.
નોંધ: પ્રસ્તુત અભ્યાસ લેખ 'શબ્દસૃષ્ટિ' સામયિકમાં પ્રકાશિત થયેલ છે. આમાંની કોઈપણ વિગતોનો ઉપયોગ નીચે પ્રમાણેનો સંદર્ભ આપીને જ કરવો. અન્યથા તે Plagiarism (સાહિત્યિક ચોરી) ગણાશે.
સંદર્ભ: રાજ્યગુરુ, ધવલ. 'ગ્રંથાવલોકન - સીતા: સ્વીકાર અને ત્યાગની કથા' . શબ્દસૃષ્ટિ : ફેબ્રુઆરી, ૨૦૨૫. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
ગ્રંથાવલોકન કરનાર:
ધવલકુમાર કીર્તિકુમાર રાજ્યગુરુ,
M.A., NET-JRF in Gujarati,
Research Scholar,
Hemchandracharya North Gujarat University, Patan

No comments:
Post a Comment